ઊંઘ અને સ્વાસ્થ્ય વચ્ચે ઊંડો સંબંધ હોય છે. સુંદર ત્વચા અને સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જરૂરી છે. પરંતુ આજના સમયમાં લોકો ઊંઘને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોને રાત્રે ઊંઘ આવતી નથી અથવા તો કેટલાક લોકો અડધી રાત્રે જાગી જાય છે અને પછી તેમને ઊંઘવામાં તકલીફ થાય છે.
જો આવું થાય તો તેમની ઊંઘ પૂરી નથી થતી અને વ્યક્તિ દિવસભર થાક અનુભવે છે. જો કે, ઊંઘની ઉણપ માત્ર થાક અથવા ઓછી ઊર્જાનું કારણ નથી પરંતુ તે શરીરમાં અન્ય ઘણા ફેરફારોનું પણ કારણ બને છે.
વાસ્તવમાં, જ્યારે શરીરને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે તે પોતે જ તેના સંકેતો આપવા લાગે છે. તમને સવારે ઉઠવામાં મુશ્કેલી પડી શકે છે અથવા તમે વારંવાર બીમાર પડી શકો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવીશું, જે દર્શાવે છે કે તમારે હવે વધુ ઊંઘ લેવાની જરૂર છે.
અલાર્મ ઘડિયાળ વિના ઉઠવામાં મુશ્કેલી
જો તમને પૂરતી ઊંઘ આવી રહી હોય, તો તમે સવારે અલાર્મ વગર પણ સમયસર જાગી જશો. પરંતુ જે લોકોને પૂરતી ઊંઘ નથી મળતી તેમને જાગવામાં તકલીફ પડે છે. ઉઠતા પહેલા ઍલાર્મનું સ્નૂઝ બટનને બે વાર દબાવવું એ ઊંઘની ઉણપની સ્પષ્ટ નિશાની છે.
ઊંઘમાં ડ્રાઇવિંગ કરવું
જો તમને ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ આવે છે અથવા જો તમે ફૂલેલી આંખે ડ્રાઇવિંગ કરી રહ્યા હોવ તો એ સંકેત છે કે તમે ખૂબ થાકેલા છો અને તમને સારી ઊંઘની જરૂર છે. જો તમારી સાથે આવું થાય છે, તો તમારે વાહન ન ચલાવવું જોઈએ, કારણ કે તે ખૂબ જોખમી પણ છે. આનાથી અકસ્માતનું જોખમ ઘણું વધી જાય છે.
આખો દિવસ કોફી પીવી
જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તે વ્યક્તિને ખૂબ થાક લાગે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ પોતાની જાતને વધુ સજાગ રાખવા માટે કેફીન પર નિર્ભર બની જાય છે. તમારા દિવસની શરૂઆત કરવા માટે એક કપ કોફી સારી છે, પરંતુ જો તમે સજાગ રહેવા માટે આખો દિવસ કેફીન પર આધાર રાખતા હોય તો તમારે કોફી છોડી દેવી જોઈએ અને રાત્રે સારી ઊંઘ લેવી જોઈએ.
વારંવાર ભૂલો કરવી
જ્યારે તમે થાકી જાઓ ત્યારે કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. જેના કારણે કામ દરમિયાન ભૂલો થવાની સંભાવના અનેક ઘણી વધી જાય છે. જો તમે પણ આ દિવસોમાં તમારા કામમાં ઘણી બધી ભૂલો કરવાનું શરૂ કરી દીધું છે, તો સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં પૂરતી ઊંઘ નથી આવી રહી.
વારંવાર બીમાર થવું
ઊંઘનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. જો તમને લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ પૂરી રીતે મજબૂત નથી રહેતી. આવી સ્થિતિમાં, તમારા શરીરને રોગ સામે લડવામાં મુશ્કેલી પડી શકે છે અને વારંવાર બીમાર પડી શકો છો.
વસ્તુઓ ભૂલી જવું
ઊંઘનો અભાવ ટૂંકા ગાળાની યાદશક્તિને પણ અસર કરે છે. તેથી, જે લોકો ઊંઘ પૂરતા પ્રમાણમાં લેતા નથી તેઓને વસ્તુઓ યાદ રાખવામાં ઘણી મુશ્કેલી પડે છે.
ચીડિયાપણું આવવું
થાકી જવાથી તમારા મૂડ પર નકારાત્મક અસર પડતી હોય છે. જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તમે વધુ હતાશ, બેચેન અથવા નિરાશા અનુભવી શકો છો. આવા લોકોના સ્વભાવમાં સૌથી વધુ ચીડિયાપણું જોવા મળે છે.
તો હવે જો તમને પણ આ સંકેતો દેખાય છે, તો તમારી ઊંઘની પેટર્ન પર ધ્યાન આપો અને સારી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો શેર કરો અને આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.